કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં બે સદી પહેલા ધર્મ જાગૃતિની જ્યોતને જલતી કરનાર નેત્રાના પુ. કેશરાબાપા સાંખલાને આપણે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. શ્રી કેશરાબાપા મુખીને એ સમયમાં ધર્મ જાગૃતિ માટે જઝુમવું પડ્યું હતું. ગઈ સદીમાં ધર્મ સુધારણાનો શંખનાદ કરીને સૌને જગાડનાર પુ. નારાણજી બાપા લીંબાણીનેતો એથીયે મોટા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં ધર્મવીરો પોતાના ધ્યેયમાંથી ડગ્યા નહી. પછીથી તો રતનશી ખીમજી અને નથુભાઈ નાનજી જેવા આગેવાનો પણ ધર્મ જાગૃતિની જેહાદમાં જોડાયા. તેમના એ ધર્મ જાગૃતિના અભિયાનને સંતશ્રી લાલરામજી અને સંતશ્રી ઓધવરામજી મહારાજના માર્ગદર્શન, પ્રેરણા અને આશીર્વાદ મળ્યા અને ગામેગામ ઇષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણનાં મંદિરોના નિર્માણ થયા.
આજે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં ધર્મ ક્ષેત્રમાં જે પરીવર્તન અને જે જાગૃતિ જોવા મળે છે તે સમાજના આદ્ય સુધારકો અને સંતોના પ્રચંડ પુરુષાર્થ નું જ પરિણામ છે. એક દીવામાંથી બીજો દીવો પ્રગટે તેમ કચ્છનાં ગામેગામ ધર્મની જ્યોત તો પ્રગટી પણ તેમાં સતત દિવેલ પુરાતું રહે એવું કેન્દ્ર ઉભું થઇ ન શક્યું. દરેક મંદિરોને એકબીજા સાથે જોડી રાખે અને સૌને એકજ તાંતણે બાંધી શકે એવા કેન્દ્રસ્થાન ની જરૂર તો એ વડીલોને પણ સમજાઈ હતી, પણ કોઈ સંજોગોવસાત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરોનું કેન્દ્ર સ્થાન ઉભું થઇ શક્યું નહીં.
આપણા સંતો અને વડીલોએ જલતી કરેલી ધર્મ જાગૃતિ ની મશાલને પ્રજ્વલિત રાખવી અને તેમનું અધૂરું કાર્ય પૂર્ણ કરવું અને દરેક મંદિરોને જેમાંથી પ્રેરણા અને પથ દર્શન મળી રહે અને બધા મંદિરોમાં પૂજા પદ્ધતિ, સ્તુતિ, પ્રાર્થના વગેરે બાબતે એકસુત્રતા લાવી શકાય એ માટે કેન્દ્ર સ્થાન ઉભું કરવાના સંકલ્પ સાથે ૧૯૯૬મા શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારાધર્મ પ્રચાર સમિતિની રચના કરવામાં આવી અને મહાસુદ ૧૫ (પૂનમ) ના હજારો ભાવિક્જનોની ઉપસ્થિતિમાં સંત શ્રી શાંતિદાસજી મહારાજના સાનીધ્યમાં કુળદેવી માં ઉમિયાના પ્રાંગણ વાંઢાય થી પુ. નારાણજી બાપાની જન્મભૂમી વિરાણી સુધીની ભવ્ય ધર્મયાત્રા કાઢવામાં આવી. કચ્છના ગામેગામથી ઉમટી પડેલા ૨૫,૦૦૦ જેટલા ધર્મપ્રેમી ભાઈ બહેનોની હાજરીમાં ધર્મ પ્રચાર સમિતિના પ્રથમ પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ પુંજા વાસાણીએ શ્રી લક્ષ્મીનારાયણના મંદિરોનું કેન્દ્ર સ્થાન સ્થાપવાનું આપણા વતી સંકલ્પ કર્યો હતો.
કેન્દ્ર સ્થાન ઉભું થાય તે અગાઉ ગામના મંદિરો ધાર્મિક ચેતનાથી ધમધમતા થાય, ગાજતા અને ગુંજતા થાય એ જરૂરી હતું. એ માટે ધર્મનું મહત્વ સમજાવતી સમિતિએ જણાવ્યું કે લોકોને ધાર્મિક, જ્ઞાનની પ્યાસ છે. એ પ્યાસ ત્યારે જ બુજાય કે જો તેમને ધાર્મિક વિચારો થોડા થોડા સમય પર મળતા રહે અને એતો કેન્દ્ર સ્થાન બને તો જ શક્ય બને તેમ હતું.
ધર્મ પ્રચાર સમિતિએ ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાયમાં કાર્યાલય રાખીને ધર્મ જાગૃતિની જ્યોત જલતી રાખી. પ્રાર્થના પુસ્તિકા અને ઓડિયો કેસેટ ભાવવંદના મંદિરે પહોંચતી કરી અને મોટા ભાગના મંદિરોમાં એકજ પ્રાર્થના અને આરતી બોલાતા થયા. કેટલાક મંદિરોમાં નિયમિત સત્સંગ પણ શરુ થયા અને એ માટે પણ સમિતિએ ચોપાનિયા અને પુસ્તક પ્રકાશિત કર્યા. સંતો અને વિદ્વાનોને સાથે રાખીને કચ્છ બહાર ધર્મ સભાઓ યોજવાનું પણ સાત વર્ષથી સતત ચાલુ રાખ્યું. તેની સાથે સાથે ગામે ગામના પ્રતિનિધિઓ અને આગેવાનોની સમય સમય પર મીટીંગો પણ યોજાતિ રહી. આ બધી મીટીંગોમાં સૌ આગેવાનો એકજ વાત પર ભાર મુકતા હતા કે ધર્મ જાગૃતિના આ કાર્યને વેગવંતુ બનાવવા અને ભાવી પેઢીમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા વહેલામાં વહેલી તકે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરોનું કેન્દ્ર સ્થાન બનવું જ જોઈએ.
ગામેગામના આગેવાનોની કેન્દ્ર સ્થાન બનાવવાની માંગણી તો હતી જ, પણ સાથે સાથે એવી પણ લાગણી હતી કે આપણી કુળદેવી માં ઉમિયા જ્યાં બિરાજમાન છે એ તીર્થધામ અને જ્યાંથી આપણને ધર્મ જાગૃતિની પ્રેરણા મળી છે એ સંતોની તપોભુમી વાંઢાયની નજીક જ આ કેન્દ્ર સ્થાન હોવું જોઈએ.
લોક લાગણીને માન આપીને શ્રી લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિએ વાંઢાય નજીક જ દેશલપર ગામ પાસે હાઇવે પર ૨૫ (પચ્ચીસ) એકર જમીન સંપાદિત કરી અને એ જમીનને સમતલ કરવા જોમથી કારસેવા આપવા લોકોએ સારો એવો ઉત્સાહ પણ બતાવ્યો હતો.